અહેવાલ : અશ્વિન પટેલ, ડાંગ
ડાંગ જિલ્લાના શિક્ષણક્ષેત્રે આધ્યાત્મિકતા અને સંસ્કારનું સંગમ સર્જાયું, કારણ કે ડાંગની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ખાતે જિલ્લા સ્તરની “શ્રીમદ ભગવદ ગીતા મહોત્સવ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદીએ સંભાળ્યું હતું. મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ગીતા–સિદ્ધાંતો પ્રત્યે રસ, સમજ અને જીવનમૂલ્ય પ્રત્યેની જાગૃતિ વિકસાવવાનું હતું.
આ અવસરે શાળામાં શ્લોક પઠન સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા, જેથી તેમની પ્રતિભાને વધુ પ્રોત્સાહન મળે.
પ્રેરણાદાયી વક્તવ્ય આપતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ગીતા ના જીવનમૂલ્યસભર સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો. તેમણે ‘કર્મણ્યેવાધિકારસ્તે’, નિષ્કામ કર્મ, આત્માની અમરતા, અને ધર્મપાલન જેવા સંદેશોના આધુનિક જીવનમાં મહત્વની વ્યાખ્યા આપી. સાથે સાથે તેમણે સમાજહિતને ધ્યાનમાં રાખીને “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” અભિયાન અપનાવવાની પણ અપીલ કરી.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અમરસિંહ એ. ગાંગોડા, જિલ્લા સંસ્કૃત બોર્ડના નોડલશ્રી ઉર્મિલાબેન માહલા, જિલ્લા સંસ્કૃત બોર્ડની ટીમ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ એકતા, સંસ્કાર અને જ્ઞાનના વિશાળ સમન્વયનું પ્રતિબિંબ બની રહ્યો.







