અહેવાલ :– પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

પાણી ભરવાની મોટર ચાલુ હોવા છતાં બાથરૂમ પાસે પહોંચેલા બાળકનું સ્થળ પર જ મોત, પરિવાર શોકમગ્ન
મહેસાણા જિલ્લાના બહુચરાજી શહેરના જૂના ઇન્દિરા નગર વિસ્તારમાં કરૂણ ઘટના બની છે, જ્યાં માત્ર આઠ વર્ષના કિસ્મત ઠાકોર નામના બાળકનું વીજ કરંટ લાગતાં મોત થયું છે. આ દુર્ઘટના એ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઘરમાં પાણી ભરવાની મોટર ચાલુ હતી. તે દરમિયાન બાળક રમતું રમતું બાથરૂમ પાસે પહોંચી ગયું હતું. બાથરૂમ નો દરવાજો ખોલતાં જ અચાનક બાળકને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ નો ઝટકો એટલો જોરદાર હતો કે કિસ્મત ઠાકોરે સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો.
ઘટનાસ્થળે પરિવારજનો ચીસો પાડીને પહોંચી ગયા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો નહીં. પડોશીઓએ તરત જ વીજ પુરવઠો બંધ કરવાનો પ્રયાસ કર્યો અને બાદમાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી.
પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ બાથરૂમની નજીક અથવા મોટર ની વાયરીંગ માં લીકેજ ના કારણે કરંટ ફેલાયો હોવાનું મનાય છે. ઘટના બાદ વીજ વિભાગ દ્વારા પણ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જૂના ઇન્દિરા નગર વિસ્તારમાં વીજ વાયરિંગ અને ઘરના જોડાણો માં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. અનેક ઘરોમાં જૂના વાયર અને અનધિકૃત કનેક્શન હોવાને કારણે આવી દુર્ઘટનાનો ભય સતત રહ્યો છે.
આ દુર્ઘટનાથી નાનકડા કિસ્મત ઠાકોરના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે અને અનેક લોકોએ પરિવારને ધીરજ આપવા માટે મુલાકાત લીધી છે.
સ્થાનિક નાગરિકો અને સમાજસેવી સંસ્થાઓએ પાલિકા તથા વીજ વિભાગને અપીલ કરી છે કે વિસ્તારોમાં જૂની વાયરિંગ ની તપાસ કરી તરત જ મરામત કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના પુનરાવર્તિત ન થાય.
લાપરવાહીનો આક્ષેપ – UGVCL પર ઉઠ્યા સવાલો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બાથરૂમના ઉપરથી જીવતો સર્વિસ લાઇન વાયર પસાર થતો હતો, જે ડેમેજ થઈ જતા બાથરૂમની દિવાલમાં કરંટ ફેલાયો હોવાનું અનુમાન છે.
આ મુદ્દે લોકોમાં UGVCL ની લાપરવાહી સામે આક્રોશ ફેલાયો છે.
રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે વીજ વિભાગને વારંવાર વાયર લૂઝ અને જોખમી સ્થિતિમાં હોવાની જાણ કરાયેલી હતી, પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. પરિણામે આજે એક નિર્દોષ બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.






