ગ્રાઉન્ડ રિપોર્ટર:–દીપકભાઈ રાવરાણી, ધોરાજી,રાજકોટ
ધોરાજી શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે સ્વચ્છતા વ્યવસ્થાનો ભંગ સર્જાયો છે અને તેના ગંભીર પરિણામ સ્વરૂપ પાંચ પીરની વાડી વિસ્તારમાં કોલેરા ના કેસમાં અચાનક જ ઉછાળો નોંધાયો છે. સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં 100 કરતાં વધુ કોલેરા અને ડાયેરિયા જેવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.
ગટરના પાણી પીવાના પાણીમાં ભળતાં ફાટી નીકળ્યો રોગચાળો
માહિતી અનુસાર, પાંચ પીરની વાડી વિસ્તારમાં ગયા કેટલાક દિવસોથી ગટરના નિકાલની વ્યવસ્થા બગડેલી હતી. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ગટરના ગંદા પાણી પીવાના પાણીની લાઈન સુધી પહોંચ્યા હતા. આ બાબતની તાત્કાલિક જાણ નગરપાલિકા તંત્રને અનેકવાર કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા તરફથી કોઈ સંતોષકારક જવાબ અથવા કાર્યવાહી ન થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
સ્થાનિક રહેવાસીઓએ લેખિત રજૂઆત પણ કરી, છતાં તંત્રના કાન પર જરા પણ જુ ન રેંગતા જાહેર સ્વાસ્થ્ય પર સીધી અસર પડી અને રોગચાળો ફાટી નીકળ્યો.
9
આરોગ્ય વિભાગમાં હડકંપ — સરકારી હોસ્પિટલ એમર્જન્સી મોડમાં
ધોરાજી સરકારી હોસ્પિટલમાં અચાનક થતા દર્દીઓના વધારા કારણે તબીબી સ્ટાફે ઇમરજન્સી સારવાર શરૂ કરી છે. તબીબોના જણાવ્યા મુજબ વધારે પડતા દર્દીઓને ભારે ઉલ્ટી, ડાયેરિયા, ડિહાઇડ્રેશન અને પેટમાં દુખાવાની ફરિયાદો હતા, જે કોલેરાના સ્પષ્ટ લક્ષણો છે.
સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને આરોગ્ય ટીમ ઘટનાસ્થળે દોડી
નાગરિકોમાં ભય અને ગુસ્સો ફેલાયો ત્યારે કોંગ્રેસ કાર્યાલયના કાર્યકરો તથા વોર્ડ નંબર 3ના સુધારાઈ સભ્યો સહિત શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંતભાઈ ચાવડા, ગોપાલભાઈ સલાટ અને અન્ય આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા.
આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક પાંચ પીરની વાડી વિસ્તારમાં પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને પાણીનાં નમૂનાઓની તપાસ શરૂ કરી.
નગરપાલિકાની કાર્યશૈલી પર ફરી પ્રશ્નચિહ્ન
સ્થાનિક લોકોનું કહેવું છે કે—
“આ વિસ્તારની સમસ્યા નગરપાલિકા સુધી ક્યારથી પહોંચાડી હતી, પરંતુ તંત્ર માત્ર વચનો આપી ગયું. જો સમયસર ગટાર અને પાણીની લાઈનનું મરામત કામ થયું હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત.”
આ ઘટના ફરી એક વાર નગરપાલિકા તંત્રની બેદરકારી, ગટાર-પાણીની દુરવ્યવસ્થા અને સ્વચ્છતા પ્રણાલીની ખામી તરફ આંગળી ઉપાડે છે.






