અહેવાલ: મેહુલ પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલી જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂત હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા અસરગ્રસ્ત ખેડૂતો માટે ‘સંમતિ એવોર્ડ’ જાહેર કર્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી અને જમીન સંપાદન શાખાના સકારાત્મક સહયોગથી વળતર વિતરણ પ્રક્રિયામાં નોંધપાત્ર ગતિ જોવા મળી રહી છે.
૧૭મી નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૭૭ ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર પૂર્ણ થયા છે અને આ તમામ ખાતેદારોને કુલ રૂ. ૩૪.૬૭ કરોડની માતબર રકમનું વળતર સરકારશ્રી દ્વારા સીધું જ તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવ્યું છે.
વીઘાદીઠ રૂ. ૨૨ થી ૩૨ લાખનો ઊંચો દર — હજારો ખેડૂતોને લાભ
ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં આવનારા કુલ ૬ ગામો માટે જમીન સંપાદનનો દર વીઘાદીઠ રૂ. ૨૨ લાખથી ૩૨ લાખ સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ દર ખેડૂતો માટે સંતોષકારક ગણાઈ રહ્યો છે, ખાસ કરીને તેવા સમયમાં જયારે ગરીબ, આદિવાસી, વિધવા અને મોટા કુટુંબોની જમીનો પણ તેમાં સામેલ છે. અંદાજિત ૫,૦૦૦થી વધુ ખાતેદારો આ યોજનાથી લાભાન્વિત થશે.
વળતરની ચૂકવણી એજ દિવસે: પારદર્શિતા અને ઝડપી કામગીરીથી ખેડૂતો ખુશ
જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા ખેડૂત-લક્ષી અભિગમ સાથે પારદર્શિતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી રહી છે. કલેક્ટર કચેરી ખાતે સંમતિ કરાર થતાં જ વળતરની રકમ એજ દિવસે ચૂકવવામાં આવી રહી છે — જે વહીવટી દ્રષ્ટિએ પ્રશંસાપાત્ર ગણાય છે.
અંકલેશ્વર તાલુકાના સરફુદદિન ગામના ખેડૂત માજુન રુસતમજીએ વળતર પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું:
“અમારી જમીન માટે સરકારે સારો ભાવ મંજૂર કર્યો છે અને કચેરી સ્ટાફના સહયોગથી તમામ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં પૂર્ણ થઈ. બેંક એકાઉન્ટમાં વળતર પણ તરત જ જમા થયું.”
સરકાર અને તંત્રની ખેડૂતલક્ષી નીતિનું સરસ ઉદાહરણ
ભાડભૂત બેરેજ અંતર્ગત બોરભાઠા, બોરભાઠાબેટ, સક્કરપોર, સરફુદ્દીન, તરીયા અને ધંતુરીયા ગામોની જમીન માટે સંમતિ એવોર્ડ જાહેર થયા છે. હયાત જમીન હોય કે ડૂબાણની જમીન — તમામના યોગ્ય મૂલ્યાંકન સાથે ખેડૂતોને સન્માનજનક વળતર મળે એ દિશામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
જિલ્લા વહીવટીતંત્રએ બાકી રહેલા ખેડૂતોએ પણ વહેલી તકે સંમતિ કરાર કરીને આ વિશેષ લાભનો લાભ લેવા અનુરોધ કર્યો છે.







