રિપોર્ટર : જીજ્ઞેશ બારૈયા, જાફરાબાદ
જાફરાબાદ શહેરમાં લાઈટહાઉસ રોડ પાસે આવેલ અંતિમ વિશ્રામધામ (સ્મશાનગૃહ) સુધી પહોંચવાનું લોકો માટે વર્ષોથી મુશ્કેલ બનતું હતું. રસ્તાની બિસ્માર હાલતને કારણે શોકમગ્ન પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે આ લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નનું સમાધાન થતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંતિમ વિશ્રામધામ સ્મશાનગૃહ વતી કરવામાં આવેલી રજુઆતને ધ્યાને લઈ હીરાભાઈ સોલંકી દ્વારા આ મુદ્દો ધારાસભ્ય સમક્ષ રજૂ કર્યો હતો. ધારાસભ્યએ ફાળવેલ વિશેષ ગ્રાન્ટમાંથી રસ્તા સુધારણા માટે નાણાં ફાળવતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
નવા રોડના નિર્માણનું ખાતમુહૂર્ત જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા અને ભાવેશભાઈ સોલંકીના વરદહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઈતર સમાજના આગેવાનો અને નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય આગેવાનોમાં જયેશભાઈ ઠાકર, કિરીટભાઈ જોશી, હર્ષદભાઈ મહેતા, કનુભાઈ મશરૂ સહિત ઇતર સમાજના અનેક સભ્યો અને નગરપાલિકાના પ્રતિનિધિઓ હાજર રહ્યા. સૌએ મળીને સ્મશાનગૃહના માર્ગના વિકાસને માનવ સેવા અને સંવેદનશીલ કાર્ય ગણાવી શુભેચ્છા પાઠવી.
અંતિમ વિશ્રામધામ સુધી સુગમ માર્ગ મળી રહે તે હવે જાફરાબાદ શહેર માટે રાહતરૂપ બનશે. શોકના સમયમાં પરિવારોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવા વિશ્વાસ સાથે લોકોએ આ વિકાસ કાર્યનું સ્વાગત કર્યું છે.








