મેનપુરા ગ્રામ પંચાયતની બેદરકારી બહાર આવી: ઈ-રિક્ષાથી ઉઘરાવાયેલો કચરો ખુલ્લી જગ્યામાં ઠાલવાતા નાગરિકોમાં રોષ

SHARE:

રિપોર્ટર : હસમુખભાઈ નાયક, ખેડા ગળતેશ્વર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગામમાં સ્વચ્છતા વ્યવસ્થામાં ગંભીર ઉણપો સામે આવી છે. સરકાર દ્વારા ગ્રામ પંચાયતને આપવામાં આવેલી ઈ–રિક્ષા દ્વારા દરરોજ ઘરોમાંથી કચરો એકત્રિત કરવામાં આવે છે, પરંતુ આ કચરાનું યોગ્ય નિકાલ ન થતાં સ્વચ્છતા અભિયાનને મોટો ઝટકો લાગી રહ્યો છે.

માહિતી મુજબ, મેનપુરા ગામમાં સરકાર દ્વારા એગ્રી ગેઈન શેડ બનાવવામાં આવ્યું છે, જ્યાં ઘરમાંથી એકત્રિત થયેલો કચરો સગવડભરી રીતે સંગ્રહવા અને પ્રક્રિયા કરવા માટે સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં, ગ્રામ પંચાયત દ્વારા આ શેડનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. તેના બદલે ઈ–રિક્ષાથી એકત્રિત કચરો સીધો ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવે છે.

આ ખુલ્લે પડેલા કચરામાંથી ઊઠતી તીવ્ર દુર્ગંધને કારણે આસપાસના નાગરિકો ભારે તકલીફ અનુભવી રહ્યા છે. દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છર, જીવાતો અને રોગચાળાનો ખતરો વધ્યો છે. ઉપરાંત, આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનચાલકો અને લોકો અવરજવર કરે છે, જેના કારણે તેમને પણ અસહ્ય પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

સ્થાનિક નાગરિકોની માંગ છે કે ગામના તલાટી-કમ-મંત્રી અને સરપંચ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે. સરકાર દ્વારા બનાવાયેલા એગ્રી ગેઈન શેડનો યોગ્ય ઉપયોગ થાય તો ગામમાં સ્વચ્છતા અને આરોગ્ય બંનેમાં સુધારો શક્ય બને છે.

નાગરિકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે બેદરકારી બંધ થાય અને તંત્ર સ્વચ્છતા પ્રત્યે ગંભીર બને—એજ સમયની માંગ છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!