વિશાલ જે. હરવરા, જામનગર
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની અને માતૃશક્તિ બહેનો દ્વારા નવયુવકોને નશાની લતથી દૂર રાખવા તથા સમાજમાં જાગૃતિ લાવવા માટે નશામુક્તિ અભિયાન અંતર્ગત SVET કોલેજ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો.
ભારતમાં નશીલા પદાર્થોનો વધતો પ્રચલન ચિંતાજનક બન્યો છે. તાજેતરના એક સર્વે મુજબ દેશમાં 6.5 કરોડથી વધુ લોકો ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ લત માત્ર યુવાનો જ નહીં પરંતુ સ્કૂલના બાળકો સુધી પહોંચતી જાય છે. યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમય બનતું અટકાવવા માટે દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ જ હેતુસર દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા જામનગર મહાનગરમાં પણ આ અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. SVET કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સભ્ય અને જામનગર વિભાગ સંયોજિકા કૃપાબેન લાલે મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓને “સ્વસ્થ જીવન એ શ્રેષ્ઠ જીવન” વિષય પર પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. યુવાનોને નશાથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે જાગૃત કર્યા હતા તેમજ “વ્યસનમુક્ત ભારત”ના સંકલ્પ માટે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
કાર્યક્રમ દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગરના અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, માતૃશક્તિ પ્રાંત સહ-સંયોજિકા હીનાબેન અગ્રાવત, અલ્પિતાબેન, પલકબેન સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
કોલેજ તરફથી પ્રિન્સિપાલ ડો. રિચાર્ડ રેમેડીયસ તેમજ સ્ટાફમાંથી ડો. સ્વાતિ ભેસદડીયા, ડો. કલ્યાણી ત્રિવેદી, દિપા સોની, શ્રીજા નાયર, રાહુલ કુંવરીયા અને ચિરાગ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓની પણ મોટી સંખ્યામાં હાજરી નોંધાઈ હતી.
આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં નશામુક્તિ અંગે મજબૂત સંદેશો પ્રસર્યા હતા અને સ્વસ્થ સમાજ નિર્માણ માટે સૌએ પોતાનો યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.






