દેકાવાડામાં રાજપુત સમાજે કુરિવાજો સામે ઉઠાવ્યો એક જ સ્વર:કુરિવાજો નાબુદી અભિયાન અંતર્ગત ભવ્ય મહાસંમેલન, લગ્ન અને સામાજિક પ્રસંગો માટે નવું બંધારણ ઘડાયું

SHARE:

દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામે રાજપુત સમાજે સામાજિક સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે. 16 ગામ રાજાવત સોલંકી રાજપુત સમાજ તથા ક્ષેમ કલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રવિવારે કુરિવાજો નાબુદી અભિયાન અંતર્ગત ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં સમાજમાં લાંબા સમયથી ચાલી આવતા ખર્ચાળ અને બિનજરૂરી કુરિવાજોને દૂર કરી શિક્ષણને પ્રાથમિકતા આપવાના સંકલ્પ સાથે વ્યાપક સામાજિક સંમતિ સ્થાપિત કરવામાં આવી.

સંમેલનમાં સમાજના અગ્રણી આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કુરિવાજો દૂર કરી શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે તો સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને. આ વિચાર સાથે સંમેલનમાં સમાજ માટે નવું અને સુધારણાત્મક બંધારણ ઘડી તેને અમલમાં મૂકવાની બહાલી આપવામાં આવી.

મહાસંમેલનનો મુખ્ય એજન્ડા કુરિવાજો નાબુદી અભિયાન હેઠળ નક્કી કરાયેલા મુદ્દાઓ પર ચર્ચા અને સામાજિક સંમતિ પ્રાપ્ત કરવાનો હતો. આ અંતર્ગત લગ્ન પ્રસંગે દિકરા અને દિકરી બંને પક્ષે સગાઈ પ્રસંગે માત્ર રૂ. 2100 આપવા અને લેવા નક્કી કરવામાં આવ્યું, જ્યારે અન્ય કોઈપણ પ્રકારની પહેરામણી લેવી કે આપવી નહીં એવો સ્પષ્ટ નિર્ણય લેવાયો. દિકરાની સગાઈ પ્રસંગે મંગળસૂત્ર, સગાઈની સાડી, સાકાર પડો અને શ્રીફળ સિવાય અન્ય વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો.

દિકરીના લગ્ન પ્રસંગે શુકન પેટે રૂ. 1100, એક સોનાનો દોરો, એક વિંટી અને એક જોડી કપડાં આપવા સિવાય અન્ય કોઈ મોંઘી વસ્તુ આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ નિર્ણયથી લગ્નપ્રસંગમાં વધતા આર્થિક ભારને ઘટાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે. સાથે જ સમાજમાં સાદગી અને સમાનતાનું સંદેશ પણ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ડિજિટલ કંકોત્રી અપનાવવી, ગામમાં મૌખિક આમંત્રણ આપવાની પરંપરા જાળવવી, દિકરી જોવા જવા સમયે મર્યાદિત સંખ્યા રાખવી, ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ, સામૈયું બેઠું કરવું, જુગાર પર પ્રતિબંધ તથા મરણ પ્રસંગે અગ્નિ સંસ્કારમાં માત્ર નજીકના સગાઓને જ બોલાવવાની વ્યવસ્થા જેવા મહત્વપૂર્ણ નિયમો પણ બંધારણમાં સામેલ કરાયા.

મહાસંમેલનમાં શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. સમાજના દિકરા-દિકરીઓને યુપીએસસી, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી. સમાજ તરફથી શિક્ષણ માટે સહયોગ, માર્ગદર્શન અને માનસિક સહકાર આપવામાં આવશે તેવી ખાતરી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી.

આ મહાસંમેલનમાં પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલા, ક્ષેમ કલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરિટસિંહ સોલંકી, ઈન્દ્રજીતસિંહ સોલંકી (સદાતપુરા), દેત્રોજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નવુભા સોલંકી, પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ લક્ષ્મણસિંહ સોલંકી (વાસણા), પ્રતાપસિંહ સોલંકી (ઉકરડી), રાજમલસિંહ સોલંકી (છનિયાર), દેકાવાડાના પૂર્વ ડેલિગેટ ભીખુભા સોલંકી તથા સરપંચ કાળુભા સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત 16 ગામ, ચુંવાળ 84, ઝીંઝુવાડા, દેલવાડા, ગઢવાળા, સુણસર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારના મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનો સંમેલનમાં હાજર રહ્યા હતા. મહાસંમેલન અંતે કુરિવાજો નાબુદી અને શિક્ષણ પ્રોત્સાહન માટે સમાજ એકસાથે આગળ વધવાનો સંકલ્પ લઈને વિખૂટું પડ્યું.

દેકાવાડામાં યોજાયેલ આ મહાસંમેલનને રાજપુત સમાજમાં સામાજિક સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું માનવામાં આવી રહ્યું છે, જે આવનારા સમયમાં અન્ય સમાજો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે.

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!