અહેવાલ: પ્રિયંકા પ્રજાપતિ. કચ્છ
કચ્છ જિલ્લાના મુન્દ્રા નગરમાં રવિવાર, તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળના નેજા હેઠળ એક ઐતિહાસિક અને ભવ્ય વિરાટ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર, મુન્દ્રા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિસ્ત, સંસ્કાર અને સંગઠનની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. મોટી સંખ્યામાં યુવાનો અને હિન્દુ સમાજના આગેવાનોની હાજરીએ સમગ્ર નગરમાં ધર્મજાગૃતિ અને એકતાનો સંદેશ પ્રસારી દીધો હતો.
કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે થઈ હતી. શાસ્ત્રી શ્રી અશોકભાઈ યાજ્ઞિકએ ત્રિશુલ દીક્ષા ના આચાર્ય તરીકે ઉપસ્થિત રહી, યુવાનોને વિધિવત રીતે ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરાવી હતી. દીક્ષા દરમિયાન યુવાનોને ધર્મરક્ષા, રાષ્ટ્રસેવા, રાષ્ટ્રરક્ષા તથા સંસ્કારયુક્ત જીવન જીવવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ત્રિશુલ માત્ર શસ્ત્ર નહીં પરંતુ ધર્મ, સંસ્કાર અને આત્મરક્ષાનું પ્રતિક હોવાનું સંદેશ આ વિધિ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ ધાર્મિક અને સંસ્કારાત્મક કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે પ.પૂ. શ્રી શ્યામદાસજી મહારાજ, શ્રી કૃષ્ણપ્રિય સ્વામી તથા પ.પૂ. શ્રી મુર્દુલા માતાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ બન્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તવ્ય શ્રી કિશનજી પ્રજાપત (કેન્દ્રીય બજરંગ દળ સંયોજક) દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, “આજનો યુવાન જો સંસ્કાર અને સંગઠન સાથે આગળ વધે, તો કોઈપણ પડકાર સામે હિન્દુ સમાજ મજબૂતીથી ઊભો રહી શકે. ત્રિશુલ દીક્ષા એ માત્ર વિધિ નથી, પરંતુ રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત જીવન જીવવાની પ્રતિજ્ઞા છે.”
આ ઉપરાંત શ્રી જ્વલિતભાઈ મહેતા (બજરંગ દળ ક્ષેત્ર સંયોજક), કિશોરસિંહ ચુડાસમા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મુન્દ્રા તાલુકા સંગચાલક), શ્રી ચંદુભાઈ રૈયાણી (કચ્છ વિભાગ મંત્રી), શ્રી હર્ષદભાઈ પરવાડિયા (પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી), શ્રી જગદીશભાઈ સોરઠીયા (સૌરાષ્ટ્ર પ્રાંત સહ કોષાધ્યક્ષ), તેમજ શ્રી મહાવીરભાઈ જોષી, શ્રી ધવલભાઈ રાજગોર, શ્રી રાજેશભાઈ વેગડ, શ્રી ભગીરથસિંહ રાયજાદા, શ્રી રમેશભાઈ મરંડ અને શ્રી રાજનભાઈ જોશી સહિતના આગેવાનો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વક્તાઓએ સંગઠન, સંસ્કાર અને સમાજસેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર અધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી ભાવેશભાઈ ઠક્કર દ્વારા અત્યંત શિસ્તબદ્ધ અને સુચારુ રીતે કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની સફળતાનું મુખ્ય કારણ બન્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે દલરામભાઈ ચૌધરી, રણજીતસિંહ જાડેજા, કેતનભાઈ પ્રજાપતિ, સુખદેવસિંહ અસવાર, જીગરભાઈ રાજગોર, મયુરભાઈ સાધુ, દલપતભાઈ મકવાણા, મનોજભાઈ શર્મા, રાજેન્દ્રસિંહ અસવાર સહિત સમગ્ર કાર્યકર્તા ટીમે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. વ્યવસ્થા, શિસ્ત અને આયોજનની ચારેય તરફ પ્રશંસા થતી જોવા મળી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ મુન્દ્રા નગર દ્વારા આયોજિત આ વિરાટ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ મારફતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને ધર્મજાગૃતિનો મજબૂત સંદેશ પ્રસરી રહ્યો છે તેવી લાગણી ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ વ્યક્ત કરી હતી. મુન્દ્રા નગર માટે આ કાર્યક્રમ એક યાદગાર અને પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.







