રિપોર્ટર: દિલીપસિંહ જાડેજા:શંખેશ્વર, પાટણ
શંખેશ્વર સ્થિત શ્રી એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા વીર બાલ દિવસ તથા સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વીર બલિદાનની પ્રેરણા સાથે આધુનિક યુગના સાયબર ગુનાઓ સામે સચેત રહેવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમના પ્રારંભે મુખ્ય વક્તા અને કોલેજના આચાર્ય ડો. રાજેશ ત્રિવેદીએ વીર બાલ દિવસના મહત્ત્વ વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોતાના પ્રાણના ભોગે પણ સ્વધર્મ અને મૂલ્યોનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ બાબતને ઉજાગર કરતા તેમણે શીખ સમુદાયના દશમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેસિંહજીના અદભૂત બલિદાનની ગાથા રજૂ કરી હતી.
ડો. ત્રિવેદીએ જણાવ્યું કે મુગલ શાસક વજીર ખાન દ્વારા બંને વીર બાળકો પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે અનેક યાતનાઓ આપવામાં આવી, દબાણ અને ધમકીઓ આપવામાં આવી, છતાં પણ તેમણે પોતાના ધર્મ સાથે કોઈ સમજૂતી ન કરી અને સ્વધર્મનું રક્ષણ કરતાં શહીદી વ્હોરી. આવા વીર બાલ બલિદાન સામે સમગ્ર સમાજે નતમસ્તક થવું જોઈએ તેમ તેમણે ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું.આ કાર્યક્રમના બીજા સત્રમાં સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધતા જતા ઓનલાઈન ઠગાઈ, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી, ફેક લિંક્સ, ઓટીપી ફ્રોડ, ડિજિટલ સુરક્ષા અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કોલેજના સંચાલક નવીનભાઈ ભોજક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું હતું કે વીર બલિદાનથી પ્રેરણા લઈને આજની પેઢીએ નૈતિક મૂલ્યો સાથે ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સંસ્કાર, શિસ્ત અને ડિજિટલ જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ કાર્યક્રમ અધિકારી ડો. રાજેશ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો. ઓ. હિતેશદાન ગઢવીએ આભાર વિધિ કરીને ઉપસ્થિત મહેમાનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વીર બલિદાન પ્રત્યે આદરભાવ સાથે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો.






