ભરૂચ : અંકલેશ્વરમાં રોડ માર્જિન પર આવેલા ધાર્મિક બાંધકામો સામે નગરપાલિકાની કાર્યવાહી તેજ, 7 દિવસમાં હટાવવાની નોટિસ

SHARE:

રિપોર્ટ : મેહુલ પટેલ અંકલેશ્વર, ભરૂચ

   ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામો સામે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ ચુકાદા અને રાજ્ય સરકારના આદેશના અમલીકરણ અંતર્ગત અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે તથા રોડ માર્જિન વિસ્તારમાં આવેલા ધાર્મિક દબાણોને દૂર કરવા નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી હેઠળ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ ચાર ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં બે મંદિર, એક મસ્જિદ અને એક દરગાહનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગત તારીખ 7 જુલાઈ 2025ના રોજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રથમ તબક્કે આ ધાર્મિક બાંધકામોને સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

નગરપાલિકાએ પ્રથમ નોટિસમાં 10 દિવસની સમયમર્યાદા આપી હતી, પરંતુ ચાર મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ આ ધાર્મિક દબાણો દૂર ન થતા હવે તંત્ર દ્વારા પુનઃ કડક નોટિસ આપવામાં આવી છે. નવી નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જો 7 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા બળપૂર્વક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ ચૌટા નાકા વિસ્તારમાં આવેલ એકનાથલીંગ મહાદેવ મંદિર તેમજ જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં આવેલી બે દરગાહ અને એક મંદિર રોડ માર્જિનમાં આવતા હોવાનું નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું. આ ધાર્મિક બાંધકામોના કારણે ટ્રાફિક સમસ્યા, જાહેર સલામતી અને માર્ગ વિકાસમાં અડચણ ઊભી થતી હોવાની રજૂઆતો અગાઉથી કરવામાં આવી રહી હતી.

નગરપાલિકાના સૂત્રો અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોઈપણ જાહેર માર્ગ, હાઇવે કે રોડ માર્જિન પર નવા કે જૂના ધાર્મિક દબાણો રાખવા ગેરકાયદેસર છે અને આવા બાંધકામોને તબક્કાવાર દૂર કરવાની ફરજ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પર છે. આ જ અનુક્રમે અંકલેશ્વર નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવાયું છે.

હાલ આ મુદ્દે શહેરમાં ચર્ચા તેજ બની છે. આગામી 7 દિવસ દરમિયાન ધાર્મિક સ્થળોના સંચાલકો દ્વારા સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર કરવામાં આવશે કે નહીં તેના પર તમામની નજર ટકેલી છે. જો સમયમર્યાદા બાદ પણ કાર્યવાહી નહીં થાય તો અંકલેશ્વરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!