રૂ.25 હજારના ઇનામી કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈ પર SMCનું ફાયરિંગ : દાહોદ નજીક એન્કાઉન્ટર જેવી સ્થિતિ

SHARE:

ચાલુ ગાડીમાં ભાગવાનો પ્રયાસ કરતાં પગમાં ગોળી – PSI પર જીવલેણ હુમલા બાદ જવાબી કાર્યવાહી

અહેવાલ:નિસર્ગ પટેલ (9712990832)

ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા પ્રોહીબીશન માફિયા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો અને ₹25,000ના રોકડ ઇનામ વાળો ફરાર કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન દાહોદ નજીક એન્કાઉન્ટર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આરોપી દ્વારા પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવતા જવાબમાં SMC દ્વારા તેના પગમાં ગોળી મારવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

આસામના દિસપુરથી ધરપકડ, ગુજરાત સુધી ટ્રાન્ઝિટ દરમિયાન ઘટના

પોલીસ સૂત્રો મુજબ, અશોક બિશ્નોઈ ગુજસીટોક એક્ટ અને પ્રોહીબીશન સહિતના 27થી વધુ ગંભીર ગુનાઓમાં વાંછિત હતો. ગુજરાતભરમાં પ્રોહીબીશન નેટવર્કનો મુખ્ય સુત્રધાર ગણાતો આ આરોપી પોતાની ઓળખ બદલીને આસામના ગુહાટી જિલ્લાના દિસપુર વિસ્તારમાં પેલેસિયો હોટલમાં રહેતો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી ચોક્કસ માહિતીના આધારે પીએસઆઈ કે.ડી. રવિયા અને પીએસઆઇ વી.એન.જાડેજા ની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પોલીસ તપાસમાં સહયોગ ન આપતો હોવાથી SMC PI આર.જી. ખાંટની ટીમને સહયોગ માટે મોકલવામાં આવી હતી. આરોપીને ત્યાંથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દાહોદ નજીક ગંભીર બનાવ બન્યો.

ચાલુ ગાડીમાં PSI કે.ડી.રવિયા પર જીવલેણ હુમલો

પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાન્ઝિટ દરમિયાન આરોપી અશોક બિશ્નોઈએ અચાનક ચાલુ ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ડ્રાઇવરના સીટ બેલ્ટનો ઉપયોગ કરી ગાડી ચલાવી રહેલા પોલીસ અધિકારી PSI કે.ડી. રવિયા ને ફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ અધિકારીનું જીવન જોખમમાં મુકાયું હતું.

પરિસ્થિતિ ગંભીર બનતા અને આત્મરક્ષા જરૂરી બનતાં PI આર.જી. ખાંટ દ્વારા આરોપીના પગમાં ગોળી મારવામાં આવી, જેથી આરોપી નિષ્ક્રિય થયો અને વધુ નુકસાન ટળ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આરોપી ઘાયલ, Zydus હોસ્પિટલમાં સારવાર

ફાયરિંગ બાદ અશોક બિશ્નોઈ ઘાયલ હાલતમાં જમીન પર પડી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે દાહોદની Zydus હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આરોપીની હાલત સ્થિર છે.

આ ઘટનામાં PSI કે.ડી. રવિયા સહિત કોઈપણ પોલીસ કર્મચારીને ઇજા પહોંચી નથી અને તમામ પોલીસ અધિકારીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

એન્કાઉન્ટર જેવી સ્થિતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા

દાહોદ નજીક સર્જાયેલી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તેને કાયદેસર આત્મરક્ષાની કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે, પરંતુ ઘટનાની પરિસ્થિતિને કારણે તેને એન્કાઉન્ટર જેવી સ્થિતિ તરીકે પણ જોવામાં આવી રહી છે.

પ્રોહીબીશન નેટવર્ક પર મોટો પ્રહાર

અશોક બિશ્નોઈની ધરપકડને રાજ્યમાં સક્રિય પ્રોહીબીશન નેટવર્ક સામે મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રો જણાવે છે કે આરોપીની પૂછપરછ બાદ તેના સંપર્કમાં રહેલા અન્ય બુટલેગરો, સપ્લાય ચેન, નાણાકીય લેવડદેવડ અને આંતરરાજ્ય કડી અંગે મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે આ સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં પ્રોહીબીશન માફિયા સામે વધુ કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસની કાર્યવાહી સામે જનદૃષ્ટિ

એક તરફ આ ઘટના પોલીસની સજાગતા અને ઝડપી કાર્યવાહી દર્શાવે છે, તો બીજી તરફ બળપ્રયોગની મર્યાદા અને પારદર્શિતા અંગે ચર્ચા પણ જગાવી છે. હવે સૌની નજર એ પર છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કેવી રીતે આગળ વધે છે અને પ્રોહીબીશન નેટવર્ક સામે કેટલી મોટી કાર્યવાહી થાય છે.

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!