મહેસાણા જિલ્લાની સામાજિક અને રાજકીય ધરાતળ પર મોટું પાવર સેન્ટર ઊભું થવાની દિશામાં યુવા ક્ષત્રિય સેના દ્વારા ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. વર્ષ 2011થી સતત સંકલ્પ અને સંઘર્ષ સાથે આગળ વધતી યુવા ક્ષત્રિય સેના હવે “શ્રી ભવાની ધામ”ના નિર્માણ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક, શૈક્ષણિક, આર્થિક તેમજ રાજકીય રીતે સંગઠિત પાવરહાઉસ બનાવવાના મિશન પર છે.
આ સંદર્ભે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં યુવા ક્ષત્રિય સેના ના પ્રમુખ અભિજીત સિંહ બારડે જણાવ્યું હતું કે આગામી 18 જાન્યુઆરી, રવિવારથી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામથી અંબાજી સુધી ભવ્ય યાત્રા યોજાશે. આ યાત્રા કોઈ સામાન્ય રેલી નહીં પરંતુ શક્તિ, સંગઠન અને સંકલ્પનું પ્રતિક બનશે, જેમાં 1008 જેટલી ગાડીઓના કાફલા સાથે હજારો કાર્યકરો જોડાશે.
અંબાજી પહોંચ્યા બાદ વિશાળ સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં શ્રી ભવાની ધામના નિર્માણ સંકલ્પને ફરી એક વખત જનસમર્થન સાથે ઘોષિત કરવામાં આવશે. યુવા ક્ષત્રિય સેના દ્વારા પ્રસ્તાવિત શ્રી ભવાની ધામ આશરે 100 વિઘા જમીનમાં નિર્માણ પામશે, અને તે માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક કેન્દ્ર પૂરતું સીમિત નહીં રહે પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક પોલિટિકલ પાવર હાઉસ તરીકે ઓળખ મેળવશે એવી દિશામાં આયોજન કરાયું છે.
અભિજીત સિંહ બારડેએ જણાવ્યું હતું કે શ્રી ભવાની ધામ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે
સામાજિક એકતા
યુવાનો માટે શૈક્ષણિક માર્ગદર્શન
આર્થિક સશક્તિકરણ
અને રાજકીય ચેતનાનું કેન્દ્ર
બનશે. સમાજને દિશા આપતું, નેતૃત્વ તૈયાર કરતું અને રાજકીય નિર્ણયો પર અસર પાડે તેવું આ સંકુલ બની રહે તે યુવા ક્ષત્રિય સેના નો સ્પષ્ટ સંકલ્પ છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે શ્રી ભવાની ધામનું નિર્માણ મહેસાણા જિલ્લાની રાજકીય સમીકરણોને અસર કરી શકે છે. એક સંગઠિત સમાજ, સંસ્થાગત માળખું અને સતત કાર્યક્રમો દ્વારા યુવા ક્ષત્રિય સેના પોતાની હાજરીને માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય સ્તરે પણ મજબૂત બનાવી રહી છે.
આગામી દિવસોમાં યોજાનારી 1008 ગાડીઓની યાત્રા માત્ર યાત્રા નહીં પરંતુ શક્તિ પ્રદર્શન, સંદેશ અને સંકલ્પની ઘોષણા તરીકે જોવામાં આવી રહી છે. હવે સૌની નજર 18 જાન્યુઆરી પર ટકેલી છે, જ્યાંથી મહેસાણાની રાજકીય ધરા પર એક નવી દિશાની શરૂઆત થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.






