કડીના તીન બત્તી વિસ્તારમાં મુસ્લિમ સમાજે ધ્વજવંદન કરી દેશપ્રેમ નો મજબૂત સંદેશ આપ્યો

SHARE:

નિસર્ગ પટેલ. :– કડી 

કડી શહેરમાં 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને શહેરના મુસ્લિમ બહુમતી વિસ્તારમાં આવેલ તીન બત્તી ચોક ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમે સમગ્ર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશપ્રેમ વ્યક્ત કરતી આ ઉજવણી સમાજમાં એકતા, સહઅસ્તિત્વ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની રહી.

ગણતંત્ર દિવસ નિમિત્તે તીન બત્તી વિસ્તારમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી યોજાઈ હતી. શાળાથી નીકળેલી રેલી દેશભક્તિના નારા સાથે તીન બત્તી ચોક સુધી પહોંચી હતી, જ્યાં ભવ્ય રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વડીલો અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગવાયું હતું, જેમાં સમગ્ર વિસ્તાર દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયો હતો. મુસ્લિમ બહુમતી વિસ્તારમાં આ રીતે ગણતંત્ર દિવસની ઉજવણી થવી તે માત્ર કડી શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક સકારાત્મક સંદેશરૂપ બની રહી.

કાર્યક્રમ બાદ મુસ્લિમ ધર્મગુરુ દ્વારા આપવામાં આવેલ સંબોધન ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તેમણે પોતાના ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મુસ્લિમ સમાજ દેશનો વફાદાર છે અને દેશ પ્રત્યેની નિષ્ઠા સાબિત કરવા માટે કોઈ પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે હજારો મુસ્લિમ સમુદાયનું સપનું રાષ્ટ્રવાદી મુસલમાન બનવાનું હોવું જોઈએ.

ધર્મગુરુએ કોમવાદી માનસિકતા ધરાવતા લોકોને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે ભારત દેશ સૌનો છે. અહીં અલગ અલગ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો એક જ છત નીચે શાંતિપૂર્વક રહી રહ્યા છે. દેશને તોડવાની કે સમાજમાં ભેદભાવ ફેલાવવાની કોશિશ કરનારાઓ સામે એકતાથી ઊભા રહેવાની જરૂર છે.

તેમણે પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે દેશની અખંડિતતા અને એકતા જ ભારતની સાચી તાકાત છે અને કોઈપણ ધર્મનો નાગરિક જો દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાય તો તે સમગ્ર સમાજ માટે નુકસાનકારક છે. તેથી દરેક નાગરિકની ફરજ છે કે તે દેશના કાયદા, બંધારણ અને રાષ્ટ્રધ્વજનો સન્માન કરે.

કડીના તીન બત્તી વિસ્તારમાં આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમ માત્ર એક ધાર્મિક સમુદાયની ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ બની રહ્યું. કાર્યક્રમ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે દેશપ્રેમ કોઈ એક ધર્મ કે સમુદાયની મિલ્કત નથી, પરંતુ ભારતના દરેક નાગરિકનું ગૌરવ છે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવા કાર્યક્રમો સમાજમાં વિશ્વાસ, શાંતિ અને ભાઈચારાની ભાવના મજબૂત કરે છે અને આગામી પેઢીને દેશપ્રેમની સાચી દિશા બતાવે છે. તીન બત્તી વિસ્તારમાં યોજાયેલ આ ઉજવણી કોમવાદી વિચારધારાને મજબૂત લોકશાહી અને રાષ્ટ્રીય એકતાથી જવાબ આપતી જોવા મળી.

સમગ્ર કાર્યક્રમમાં કડી કસ્બા પ્રમુખ મહેબૂબ ભાઈ ગોરી,કડી ઘાંચી જમાત ના પ્રમુખ અબ્દુલ ભાઈ દલાલ,ચિશ્તી મંજૂરમિયાં બાવાસાહેબ,ખોખર મેઝુલભાઈ,કડી અમન વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ નિઝામ ભાઈ વ્હોરા,કડી સિપાઈ જમાત ના વડીલો અને કમિટી મેમ્બર અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!