રિપોર્ટર : રાજભા સોલંકી
જાપાની મહેમાનો આવતા ગામમાં ગંદકીના દ્રશ્યો શરમજનક
બસ સ્ટેશન પાસેના તળાવમાં દુર્ગંધ, કચરાના ઢગલા અને મચ્છરોનો આતંક : ગ્રામ પંચાયતના અણગઢ વહીવટ સામે લોકોમાં ઉગ્ર રોષ
માંડલ તાલુકાના વિકસતા જાલીસણા ગામમાં એક તરફ ઔદ્યોગિક વિકાસના મોટા મોટા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ગામના મુખ્ય પ્રવેશદ્વાર સમાન બસ સ્ટેશન નજીક આવેલ તળાવ ગંદકીના ભરડામાં ધકેલાઈ ગયું છે. તળાવની આસપાસ ફેલાયેલી અસ્વચ્છતા, ગંદુ પાણી, પ્લાસ્ટિકના કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધને કારણે ગામની પ્રતિષ્ઠા ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઉભરી રહેલા ગામમાં આવી સ્થિતિ સામે આવતા સ્થાનિકો હવે ખુલ્લેઆમ ગ્રામ પંચાયતના વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
બસ સ્ટેશન નજીક ગંદકીથી મુસાફરો ત્રાહિમામ
જાલીસણા બસ સ્ટેશન પાસે આવેલ તળાવ આજુબાજુના વિસ્તારમાં ગટર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રોજબરોજ મોટી સંખ્યામાં મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને કામદારો અહીંથી અવરજવર કરતા હોવા છતાં સફાઈની કોઈ અસરકારક વ્યવસ્થા જોવા મળતી નથી. બસની રાહ જોતા મુસાફરોને દુર્ગંધ અને ગંદકી વચ્ચે ઊભા રહેવાની ફરજ પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી તળાવની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી. તળાવમાં પાણી કરતાં વધુ કચરો અને ગંદકી જોવા મળી રહી છે. કેટલાક લોકો દ્વારા બેફામ રીતે ઘરેલુ કચરો, પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટ અહીં ફેંકાતા પરિસ્થિતિ વધુ બગડી રહી છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે.
ઇન્ડસ્ટ્રીયલ વિકાસ વચ્ચે સ્વચ્છતા ગાયબ
જાલીસણા ગામ છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકાસ પામતું ગામ માનવામાં આવે છે. ગામની આસપાસ વિવિધ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એકમો કાર્યરત છે. વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું પણ અહીં સતત અવરજવર રહે છે. ખાસ કરીને ગામમાં આવેલી જાપાની હોટલોમાં વિદેશી મહેમાનો રોકાતા હોવાના કારણે જાલીસણા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી રહ્યું છે.
પરંતુ બસ સ્ટેશન નજીક જ ગંદકીથી ભરાયેલ તળાવ ગામની છબી ઉપર કાળો ડાઘ બની રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. “એક બાજુ વિદેશી મહેમાનો માટે ફાઇવ સ્ટાર સુવિધાઓની વાતો થાય છે અને બીજી બાજુ ગામના મુખ્ય વિસ્તારમાં ગંદકીના ઢગલા દેખાય છે,” તેવી ટિપ્પણીઓ હવે ગામમાં ચર્ચાનો વિષય બની છે.
ગ્રામ પંચાયત સામે લોકોના ગંભીર આક્ષેપ
સ્થાનિક રહેવાસીઓએ સરપંચ, તલાટી અને ગ્રામ પંચાયતના વહીવટ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં માત્ર કાગળ ઉપર સફાઈના દાવા કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતા એકદમ વિપરીત છે. ગામમાં સ્વચ્છતા માટેના બજેટ અને કામગીરી અંગે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તળાવની આસપાસ ઘાસ-ઝાડીઓ ઊગી ગઈ છે, ગંદુ પાણી જમા થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ઉનાળાની ગરમીમાં દુર્ગંધ અસહ્ય બની જાય છે. નજીકના દુકાનદારો અને રહેવાસીઓ માટે પરિસ્થિતિ માથાનો દુખાવો બની ગઈ હોવાનું કહેવાય છે.
ચેપી રોગોની ભીતિ, તંત્ર હજુ મૌન
તળાવની હાલતને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના ચેપી રોગો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને સાંજના સમયે મચ્છરોનો ભારે ઉપદ્રવ રહેતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયત સમયસર પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં ગંભીર આરોગ્ય સંકટ ઉભું થઈ શકે છે તેવી ચિંતા સ્થાનિકોમાં વધી રહી છે.
એક બાજુ “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત સરકાર ગામડાઓને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરી રહી છે, ત્યારે વિકસતા જાલીસણા ગામમાં આવી પરિસ્થિતિ સામે આવતા સરકારી અભિયાનોની વાસ્તવિકતા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
હવે ગ્રામજનોની ચેતવણી
સ્થાનિક લોકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે તળાવની સફાઈ, કચરાના નિકાલની વ્યવસ્થા અને નિયમિત દેખરેખ શરૂ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆતથી લઈને વિરોધ પ્રદર્શન સુધીના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ સુધી મુદ્દો પહોંચાડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી રહી છે.
હાલ જાલીસણા બસ સ્ટેશન નજીકનું તળાવ ગામમાં ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર માત્ર આશ્વાસનો આપે છે કે ખરેખર ગંદકી દૂર કરવા મેદાનમાં ઉતરે છે.







