દિલ્હી અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ
દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી ફ્લોરિશ સ્ટે હોટલમાં થયેલા ભયાનક અગ્નિકાંડ બાદ તપાસ વધુ તેજ બની છે. ઘટનામાં 21 લોકોના જીવ ગયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. હવે પોલીસે હોટલના રસોઈયા કેશવ નેગીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
રસોડામાંથી શરૂ થઈ હોવાનું પ્રાથમિક તારણ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હોટલના ભોંયતળિયે આવેલા રસોડામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક ચુલામાં ખામી સર્જાતા આગ ભભૂકી હોઈ શકે છે. આગ થોડા જ સમયમાં સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા.
આગ લાગતા સ્ટાફે પહેલા બચાવ્યો પોતાનો જીવ
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આગ ફાટી નીકળ્યા બાદ હોટલનો સ્ટાફ સૌથી પહેલાં સ્થળ છોડીને ભાગી ગયો હતો. મહેમાનોને બહાર કાઢવાની જગ્યાએ કર્મચારીઓએ પોતાનો બચાવ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મેઈન વીજ પુરવઠો બંધ થતાં વધ્યું સંકટ
પોલીસને મળેલી માહિતી મુજબ આગ લાગ્યા બાદ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ તેના કારણે ઇલેક્ટ્રોનિક દરવાજા લોક થઈ ગયા અને અંદર રહેલા ઘણા લોકો માટે બહાર નીકળવાનો માર્ગ મુશ્કેલ બની ગયો. તપાસમાં આ મુદ્દો પણ ગંભીર બેદરકારી તરીકે સામે આવ્યો છે.
હોટલમાં મંજૂરી કરતાં અનેકગણા રૂમ ચાલતા હતા
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે હોટલને મર્યાદિત રૂમ માટે જ મંજૂરી આપવામાં આવી હતી, છતાં ત્યાં તેની સરખામણીએ અનેકગણા રૂમ સંચાલિત થઈ રહ્યા હતા. કેટલાક રૂમ તો ભોંયતળિયામાં પણ બનાવવામાં આવ્યા હતા, જે સુરક્ષા ધોરણો સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
હોટલ માલિક પહેલાથી જ વિવાદોમાં રહ્યો છે
આ કેસમાં હોટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન માલિકે નિયમોના ભંગ અંગે સંતોષકારક જવાબ આપી શક્યો નથી. અગાઉ પણ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે.
એકાઉન્ટન્ટની શોધખોળ શરૂ
પોલીસ હવે હોટલના નાણાકીય અને વહીવટી દસ્તાવેજોની તપાસ કરી રહી છે. ઘટનાના બાદથી ગાયબ થયેલા એકાઉન્ટન્ટની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે. તપાસમાં તેની ભૂમિકા પણ મહત્વની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં આગની ઘટનાઓ ચિંતાજનક
તાજેતરના વર્ષોમાં રાજધાની દિલ્હીમાં આગની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે. સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો લોકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી ચૂક્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ નિયમોના અમલ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.






