જનતાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે પોલીસ તંત્રની નવી પહેલ
ગુજરાતમાં સામાન્ય નાગરિકોને પોતાની ફરિયાદો અને રજૂઆતો માટે ઉચ્ચ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે રાજ્યભરના પોલીસ અધિકારીઓ દરરોજ નક્કી કરેલા સમય દરમિયાન લોકોની ફરિયાદો સાંભળશે અને તેના ઝડપી નિકાલ માટે કાર્યવાહી કરશે. પોલીસ તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાના હેતુથી આ નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે બપોરનો સમય નક્કી
નવી સૂચના મુજબ રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, ડેપ્યુટી પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહેવાનું રહેશે. આ સમય દરમિયાન તેઓ મુલાકાતે આવતા અરજદારોની રજૂઆતો સાંભળશે અને સંબંધિત મામલાઓમાં જરૂરી સૂચનાઓ આપશે. જો કોઈ કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય તો કચેરીના અન્ય જવાબદાર અધિકારી દ્વારા અરજી સ્વીકારીને તાત્કાલિક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પોલીસ સ્ટેશન સ્તરે પણ જનસંપર્ક વધશે
પોલીસ સ્ટેશન કક્ષાએ પણ વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. PI અને અન્ય થાણા અધિકારીઓ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહી લોકોની ફરિયાદો સાંભળશે. પોલીસ વિભાગનું માનવું છે કે આ વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે જ અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે અને લોકોને વારંવાર ઉચ્ચ કચેરીઓ સુધી જવું નહીં પડે.
ફરિયાદોના નિકાલ માટે સમયમર્યાદા નક્કી
DGP દ્વારા ફરિયાદોના નિકાલ માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આર્થિક ગુનાઓ, પારિવારિક અને વૈવાહિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ છ અઠવાડિયામાં લાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અન્ય સામાન્ય અરજીઓ અને રજૂઆતોનો નિકાલ 15 દિવસની અંદર પૂર્ણ કરવાનો રહેશે.
દરેક અરજીની રહેશે નોંધ, ગુનો જણાશે તો FIR ફરજિયાત
નવી વ્યવસ્થા હેઠળ તમામ કચેરીઓમાં અરજદારોની વિગતો નોંધવા માટે વિશેષ રજિસ્ટર જાળવવામાં આવશે. અરજી મળ્યાની તારીખથી લઈને તેની ઉપર થયેલી કાર્યવાહી સુધીની તમામ વિગતો તેમાં નોંધાશે. જો કોઈ અરજીની તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું સામે આવશે તો તાત્કાલિક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
પોલીસ-જનતા વચ્ચેનો અંતર ઘટાડવાનો પ્રયાસ
DGP જી.એસ. મલિકે તમામ અધિકારીઓને અરજીઓની તપાસ સંપૂર્ણ તટસ્થતા અને ન્યાયસંગત રીતે કરવા જણાવ્યું છે. પોલીસ વિભાગને આશા છે કે આ નવી વ્યવસ્થાથી જનતાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે, ફરિયાદોના ઝડપી નિકાલમાં મદદ મળશે અને લોકો માટે પોલીસ તંત્ર વધુ સુલભ બનશે.