ઢાકામાં ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજ્યું વાતાવરણ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભગવાન રામની પ્રતિમા નિર્માણને લઈને ઉભા થયેલા વિવાદના વિરોધમાં લોકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવી મશાલ રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓ નેશનલ મ્યુઝિયમ વિસ્તારથી નેશનલ પ્રેસ ક્લબ સુધી કૂચ કરીને લઘુમતી સમુદાયોના અધિકારો અને સુરક્ષાની માંગ કરી હતી.
81 ફૂટ ઊંચી રામ પ્રતિમા પરથી શરૂ થયો વિવાદ
વિવાદનું કેન્દ્ર રંગપુરના ગાયબંધા જિલ્લાના પલાશવાડી વિસ્તારમાં નિર્માણાધીન 81 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમા છે. અહેવાલો મુજબ પ્રતિમાના નિર્માણ કાર્યને અટકાવવામાં આવ્યું હતું. મંદિર સમિતિનો આરોપ છે કે કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોના દબાણ અને ધમકીઓના કારણે આ નિર્ણય લેવાયો હતો. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા અંગે નવી ચર્ચા જગાવી છે.
ભગવાન રામના ચિત્રના અપમાનનો પણ આક્ષેપ
પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે ભગવાન રામના ચિત્રનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી હિંદુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. વિવિધ હિંદુ સંગઠનો અને વિદ્યાર્થી નેતાઓએ આ ઘટનાને ધાર્મિક લાગણીઓ સાથે ચેડાં ગણાવી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દોષિતોની ધરપકડ માટે 72 કલાકનું અલ્ટિમેટમ
હિંદુ સંગઠનો અને હિંદુ મહાજોતે સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવી દોષિતોની ધરપકડ માટે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયગાળામાં કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. શનિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર પણ સોંપવામાં આવવાનું છે.
64 જિલ્લાઓમાં રામ મંદિર બનાવવાની ચેતવણી
હિંદુ મહાજોટે જાહેરમાં જણાવ્યું છે કે જો રંગપુરમાં રામ પ્રતિમાનું નિર્માણ ફરી શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં તબક્કાવાર રામ મંદિરોના નિર્માણ માટે અભિયાન શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય પૂજા ઉત્સવ સમિતિએ પણ દેશવ્યાપી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી છે.
કટ્ટરપંથી સંગઠનો ફંડિંગની તપાસની માંગ કરી રહ્યા છે
બીજી તરફ કેટલાક ઇસ્લામિક સંગઠનોએ આ પ્રોજેક્ટના ફંડિંગ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ કરાવી જાણવા માંગ્યું છે કે પ્રોજેક્ટ માટે કોઈ વિદેશી સંગઠન અથવા સરકાર તરફથી નાણાકીય સહાય તો મળી નથી ને. આ સાથે જ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોના બેંક ખાતા અને સંપત્તિની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.
અગાઉ પણ હિંદુ ધાર્મિક પ્રોજેક્ટો પર રોક લાગી હતી
રામ પ્રતિમા વિવાદ પહેલાં પણ બાંગ્લાદેશમાં હિંદુ સમાજ સાથે જોડાયેલા કેટલાક પ્રોજેક્ટો વિવાદમાં આવ્યા હતા. 2025માં ઢાકામાં એક દુર્ગા મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે 2024માં ઉત્તરામાં દુર્ગા પૂજાની પ્રતિમાના સ્થળ બદલવા પડ્યા હતા. આ ઘટનાઓ બાદ લઘુમતી સમુદાયોની સુરક્ષા અંગે સતત ચિંતા વ્યક્ત થતી રહી છે.
લઘુમતીઓ પર હુમલાના આંકડા પણ ચિંતાજનક
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2024 બાદથી લઘુમતી સમુદાયો પર હજારો હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. સંસ્થાના દાવા મુજબ હત્યા, તોડફોડ, આગચંપી, લૂંટફાટ અને ધાર્મિક સ્થળો પર હુમલા જેવી અનેક ઘટનાઓ છેલ્લા બે વર્ષમાં સામે આવી છે.







