પ્રવેશોત્સવનો પ્રારંભ: વડનગરની B.N. હાઈસ્કૂલથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ

SHARE:

મોદીના વતન વડનગરથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો મંગળવારથી ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ પહેલનો રાજ્યવ્યાપી પ્રારંભ તેમના વતન વડનગરની ઐતિહાસિક B.N. હાઈસ્કૂલથી કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંથી ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત કરાવી અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો.

રાજ્યભરની 38,400 શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા

25 જૂન સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન રાજ્યની અંદાજે 38,400 શાળાઓમાં કુલ 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાશે. વડનગર ખાતે મુખ્યમંત્રીએ આંગણવાડીના બે બાળકો સહિત બાલવાટિકા થી ધોરણ-11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો.

પ્રેરણા સંકુલની પણ મુલાકાત લીધી

શાળા પ્રવેશોત્સવ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર સ્થિત ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓની વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી તેમણે બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો. પ્રેરણા સંકુલ એ તે જ ઐતિહાસિક શાળાનું પુનઃવિકસિત સ્વરૂપ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.

1888ની ઐતિહાસિક શાળાનું આધુનિક રૂપાંતર

1888માં સ્થાપિત આ શાળાનું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આધુનિક શિક્ષણ કેન્દ્ર તરીકે પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. અહીં વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, મૂલ્યો અને વ્યક્તિત્વ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સંકુલનો અભ્યાસક્રમ નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે અને દેશભરના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યો છે.

ડ્રોપઆઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી ઓછો

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અગાઉ 100 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીઓ અભ્યાસ વચ્ચે છૂટી જતા હતા, જ્યારે આજે ડ્રોપઆઉટ રેશિયો 1 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે વડનગરની B.N. હાઈસ્કૂલમાં જ 24 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનું ફરીથી નામાંકન કરવામાં આવ્યું છે.

સામાન્ય પરિવારમાંથી પણ વડાપ્રધાન બની શકાય

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબિત કર્યું છે કે જો વ્યક્તિમાં ધગશ અને સંકલ્પ હોય તો સામાન્ય પરિવારમાંથી પણ દેશના વડાપ્રધાન સુધીની સફર શક્ય બને છે. તેમણે મોદીના બાળપણના પ્રસંગો યાદ કરતા કહ્યું કે તેઓ શાળાકાળથી જ સૌને સાથે રાખવાની ભાવના ધરાવતા હતા.

દીકરીઓના શિક્ષણ પર સરકારનો ભાર

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં દીકરીઓ શિક્ષણમાં આગળ વધે તે માટે સરકાર ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સાથે જ ગુજરાતમાં આવતી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝનો લાભ રાજ્યના યુવાનોને મળે તે માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

મોબાઈલ અને ટીવીના ઉપયોગ અંગે ટકોર

મુખ્યમંત્રીએ હળવી શૈલીમાં બાળકોને ટીવી અને મોબાઈલના મર્યાદિત ઉપયોગની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે માતા-પિતાની વાત માનીને સમય મર્યાદા સાથે જ મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment

और देखें
error: Content is protected !!