ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર મામલે ન્યાયિક તપાસના આદેશ: પોલીસ કાર્યવાહિ પર ઉઠ્યા સવાલો

SHARE:

ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર બાદ બિહારમાં રાજકીય ગરમાવો

બિહારના ભોજપુર જિલ્લામાં 28 વર્ષીય ભરત ભૂષણ તિવારીના એન્કાઉન્ટર બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. પોલીસ કાર્યવાહિ પર સતત સવાલો ઉઠતા હવે રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જાહેરાત કરી છે કે નિવૃત્ત હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ હાથ ધરાશે, જેથી ઘટનાના તમામ પાસાઓની પારદર્શક રીતે તપાસ થઈ શકે.

કોણ હતા ભારત ભૂષણ તિવારી?

ભરત ભૂષણ તિવારી ભોજપુર જિલ્લાના બિલૌટી ગામના રહેવાસી હતા. સ્થાનિક સ્તરે તેઓ ગરીબો, પૂરપીડિતો અને વંચિત વર્ગોના પ્રશ્નો સોશિયલ મીડિયા તથા સરકારી તંત્ર સમક્ષ ઉઠાવવા માટે જાણીતા હતા. ગામલોકો તેમને સામાજિક કાર્યકર તરીકે ઓળખતા હતા.

પોલીસનું વર્ઝન શું છે?

બિહાર પોલીસના જણાવ્યા અનુસાર, 17 જૂને માહિતી મળી હતી કે ભરત ભૂષણ તિવારી ગામમાં પિસ્તોલ સાથે જાહેરમાં ફાયરિંગ કરી રહ્યા હતા. માહિતીના આધારે પોલીસ અને STFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે દાવો કર્યો છે કે અનેક વખત સરેન્ડર કરવા કહેવા છતાં તિવારીએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આત્મરક્ષામાં જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તિવારીના પગમાં ગોળી વાગી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. સ્થળ પરથી પિસ્તોલ, જીવતા કારતૂસ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

વાયરલ વીડિયોથી ઊભા થયા સવાલો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં તિવારી ગોળીબાર પહેલા હથિયાર ફેંકતા જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દ્રશ્યો બાદ એન્કાઉન્ટરની પ્રક્રિયા અને પોલીસની કાર્યવાહિ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

ઘટનાને લઈને ઉઠેલા વિવાદ બાદ પોલીસે ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં સંબંધિત પોલીસ સ્ટેશનના SHOનો પણ સમાવેશ થાય છે. પોલીસ વિભાગે ઘટનાની આંતરિક તપાસ પણ શરૂ કરી છે.

BJPની અંદરથી પણ ઉઠ્યા અવાજ

આ મામલે સત્તારૂઢ BJPના કેટલાક નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. બિહારના ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ ઘટનાને દુઃખદ ગણાવી અને વહીવટી બેદરકારીની આશંકા વ્યક્ત કરી છે. શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કહ્યું કે જો બિનઘાતક વિકલ્પ ઉપલબ્ધ હતો તો તેનો ઉપયોગ કરવો જોઈએ હતો. BJP નેતા ઋતુરાજ સિંહાએ પણ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે, પરંતુ રક્ષકો ભક્ષક ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ગામમાં વિરોધ પ્રદર્શન

એન્કાઉન્ટર બાદ બિલૌટી ગામમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહ રસ્તા પર મૂકી આરા-બક્સર ફોરલેન હાઇવે જામ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ આ ઘટનાને ફેક એન્કાઉન્ટર ગણાવી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં અરજી

આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં CBI તપાસ, સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે FIR અને નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર કમિટીની રચનાની માંગ કરવામાં આવી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!