પ્રેમકથાનો દુઃખદ અંત, મંગેતરે જ રચી મોતની સ્ક્રિપ્ટ
રાજા રઘુવંશી કેસ બાદ હવે વધુ એક ચોંકાવનારો પ્રેમ અને વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. કેતન અગ્રવાલ અને તેની મંગેતર સિયા ગોયલ સોશિયલ મીડિયા પર એક પરફેક્ટ કપલ તરીકે જાણીતા હતા. પરંતુ આ પ્રેમકથાનો અંત એટલો ભયાનક હશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેતનની હત્યા પાછળ તેની જ મંગેતર સિયા અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીનો હાથ હોવાની આશંકા છે.
જન્મદિવસ પહેલાં કેતને આપ્યું હતું સરપ્રાઈઝ
હત્યાના લગભગ એક મહિના પહેલાંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેતન સિયાને ફૂલ આપતો, સરપ્રાઈઝ ડેકોરેશન બતાવતો અને ખુશ કરવા માટે ખાસ આયોજન કરતો જોવા મળે છે. તે સમયે બંને વચ્ચે ખૂબ પ્રેમભર્યો સંબંધ દેખાઈ રહ્યો હતો. સિયાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી, જેના કારણે કોઈને પણ તેના મનમાં ચાલી રહેલા કાવતરાનો અંદાજ આવી શકે તેમ નહોતો.
પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું પરિવારનો દાવો
કેતનના પિતા વિશાલ અગ્રવાલના જણાવ્યા મુજબ, 14 જૂને સિયા કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. ત્યાં તેણે પ્રથમ વખત કેતનને ખીણ તરફ ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેતને ઝાડી પકડી લેતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ સિયાએ “સાપ છે… સાપ છે…” કહીને વાતને બીજી દિશામાં વાળી દીધી હતી અને કેતનને ગળે લગાવી દીધો હતો. પરિવારના દાવા પ્રમાણે આ હત્યાનો “પ્લાન A” હતો, જે નિષ્ફળ ગયો.
પ્રી-બર્થડે સેલિબ્રેશન બન્યું મોતનું કારણ
19 જૂનના જન્મદિવસ પહેલાં સિયાએ કેતનને પ્રી-બર્થડે સેલિબ્રેશનના બહાને ફરી લોહગઢ કિલ્લા પર બોલાવ્યો હતો. પોલીસ અનુસાર, આ વખતે સિયાનો કથિત પ્રેમી ચેતન ચૌધરી પણ ગુપ્ત રીતે ત્યાં પહોંચ્યો હતો. તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં ચેતન કિલ્લા તરફ જતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે.
ફોટો પાડતા કેતનને ખીણમાં ધક્કો માર્યો
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કેતન કિલ્લા પર મોબાઈલથી ફોટોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે સિયાએ તેને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો. ઘટના બાદ સિયાએ જ પોલીસને ફોન કરીને જણાવ્યું કે કેતનનો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં પડી ગયો છે. શરૂઆતમાં આ અકસ્માત હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ પર શંકા ઊભી થઈ.
ચેતનને બચાવવા મોબાઈલ ઘરે મૂકી ગયો હતો
પોલીસના જણાવ્યા મુજબ, ચેતન ચૌધરીએ પોતાની ઓળખ છુપાવવા માટે મોબાઈલ પોતાના ઘરે જ રાખ્યો હતો. તે ઉપરાંત તેણે કપડાં પણ બદલ્યા હતા અને ભારે ગરમીમાં હૂડી પહેરીને કિલ્લા તરફ ગયો હતો. CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓએ તપાસને નવી દિશા આપી.
‘પ્લાન C’ પણ તૈયાર હોવાનું પરિવારનો આક્ષેપ
કેતનના પરિવારનો આરોપ છે કે જો લોહગઢ કિલ્લા પર હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોત તો સિયા અને ચેતન મહાબળેશ્વરમાં હત્યાનું કાવતરું અમલમાં મૂકવાના હતા. પરિવારનું કહેવું છે કે સિયાએ સંપૂર્ણ આયોજન સાથે આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.
ફેબ્રુઆરી પછી સંબંધોમાં તણાવ આવ્યો હતો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરીમાં લગ્ન નક્કી થયા બાદ બંને વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને મતભેદો અને ઝઘડા શરૂ થયા હતા. આ તમામ પાસાઓને આધારે પુણે રૂરલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ વધારી અને કેસની ગૂંચ ઉકેલવાનો દાવો કર્યો છે.
સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ, હકીકતમાં હત્યાનું કાવતરું
સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો અને વીડિયો જોઈને કોઈને વિશ્વાસ ન આવે કે આ સંબંધનો અંત હત્યામાં થશે. પ્રેમ, વિશ્વાસ અને સંબંધોના નામે થયેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે.







