અમિત શાહના નેતૃત્વમાં 12 જુલાઈએ હરિયાળી મહાઅભિયાન: ગાંધીનગર લોકસભામાં એક જ દિવસે 1 કરોડ વૃક્ષો વાવાશે

SHARE:

12 જુલાઈએ હરિયાળી મહાઅભિયાન
ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણ સામે લડવા માટે ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ વિશાળ વૃક્ષારોપણ અભિયાન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
એક જ દિવસે 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
અમદાવાદના મેયર હિતેશ બારોટના જણાવ્યા મુજબ હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત 12 જુલાઈના રોજ એકસાથે 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં બનાવાયેલા 100થી વધુ ઓક્સિજન પાર્ક પણ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે.
400 સ્થળોએ થશે વૃક્ષારોપણ
આ અભિયાન માટે ગાંધીનગર લોકસભામાં અંદાજે 400 પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 38 સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. દરેક પ્લોટની જવાબદારી અલગ-અલગ કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે.
NGO, ધાર્મિક સંસ્થાઓ અને બિલ્ડરો પણ જોડાશે
વૃક્ષારોપણ અભિયાનમાં વિવિધ NGO, ધાર્મિક સંસ્થાઓ, સ્વામિનારાયણ સંસ્થા, ભાગવત વિદ્યાપીઠ, બિલ્ડરો સહિત અનેક સંસ્થાઓ ભાગ લેશે. ગૌચરની જમીન અને ખાલી પ્લોટમાં પણ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવશે.
11.25% વધ્યું ગ્રીન કવર
વર્ષ 2019થી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા હરિયાળી લોકસભા અભિયાનથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રીન કવરમાં 11.25 ટકાનો વધારો નોંધાયો હોવાનું જણાવાયું છે.
નાગરિકોને વૃક્ષારોપણ માટે અપીલ
સોસાયટી અને ફ્લેટના રહેવાસીઓને ઓછામાં ઓછા 11 અને ગ્રામ્ય વિસ્તારોમાં 50 જેટલા વડ, પીપળો, લીમડો, જાંબુ અને બોરસલી જેવા ઓક્સિજન આપતા વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરવામાં આવી છે.
ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા
નાગરિકો ગાંધીનગર લોકસભાની સત્તાવાર વેબસાઈટ પર વ્યક્તિગત અથવા સંસ્થા તરીકે રજિસ્ટ્રેશન કરાવીને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈ શકે છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડોર-ટુ-ડોર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે.
મુખ્ય સ્થળોએ કેટલા વૃક્ષો વાવાશે?
  • સાણંદ (મખિયાવ) – 10 લાખ
  • સરખેજ (મકતમપુરા) – 8.50 લાખ
  • પીપળજ (ગાંધીનગર) – 6 લાખ
  • સાયન્સ સિટી – 4 લાખ
  • સાબરમતી રેલવે કોલોની – 60 હજાર
  • કલોલ – 60 હજાર
  • ગોતા – 50 હજાર

Leave a Comment

और देखें
error: Content is protected !!