આમિર ખાન 5 જુલાઈએ કરશે ત્રીજા લગ્ન, ગૌરી સાથે કરશે રજિસ્ટર્ડ મેરેજ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

SHARE:

5 જુલાઈએ ગૌરી સાથે કરશે ત્રીજા લગ્ન
બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજીવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. આમિરે રાજકુમાર હિરાણીની વેબ સિરીઝના એક કાર્યક્રમ દરમિયાન જાહેર કર્યું કે 5 જુલાઈએ તે ગૌરી સાથે રજિસ્ટર્ડ મેરેજ કરશે. લગ્ન ખૂબ જ સાદાઈથી ઘરે જ યોજાશે, જેમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહેશે.
માત્ર 150 મહેમાનો રહેશે હાજર
અહેવાલો અનુસાર લગ્નમાં અંદાજે 150 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમિર અને ગૌરીએ મહેમાનોની યાદીથી લઈને લગ્નના લંચનું મેન્યૂ પણ જાતે નક્કી કર્યું છે. લગ્ન બાદ પરિવાર અને નજીકના મિત્રો સાથે લંચનું આયોજન કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ
આમિરની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક યુઝર્સે 33 વર્ષના દીકરા જુનૈદની હાજરીમાં ત્રીજા લગ્નની જાહેરાતને લઈને ટીકા કરી, જ્યારે અન્ય લોકોએ વ્યક્તિગત જીવનને વ્યક્તિનો નિર્ણય ગણાવી સમર્થન પણ આપ્યું.
વિકી કૌશલે પાઠવી શુભેચ્છા
કાર્યક્રમમાં હાજર અભિનેતા વિકી કૌશલે આમિરના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને બંનેને શુભેચ્છાઓ પાઠવી. બીજી તરફ અભિનેત્રી રાખીએ પણ આમિરના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે સુખી લગ્નજીવનનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી.
ગૌરી સાથેનો સંબંધ અગાઉ જાહેર કર્યો હતો
આમિર ખાને પોતાના 60મા જન્મદિવસે ગૌરી સાથેના સંબંધનો ખુલાસો કર્યો હતો. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “મેં મનથી ગૌરી સાથે પહેલાથી જ લગ્ન કરી લીધા છે, હવે તેને ઔપચારિક સ્વરૂપ આપવું કે નહીં તે સમય નક્કી કરશે.”
આમિરના અગાઉના બે લગ્ન
આમિર ખાને પ્રથમ લગ્ન વર્ષ 1986માં રીના દત્ત સાથે કર્યા હતા, જેમનાથી તેમને જુનૈદ અને આયરા નામના બે સંતાનો છે. બાદમાં બંનેના છૂટાછેડા થયા. ત્યારબાદ વર્ષ 2005માં તેમણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને આઝાદ નામનો પુત્ર છે. વર્ષ 2021માં આમિર અને કિરણે પણ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Leave a Comment

और देखें
error: Content is protected !!