સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના દરિયાકાંઠા માટે આગામી 8 જુલાઈ સુધી ‘ફિશરમેન વોર્નિંગ’ જાહેર કરી છે. ભારે પવન અને દરિયામાં ઊંચા મોજાંને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
જાફરાબાદ બંદરે સિગ્નલ નંબર-3 ફરકાવાયું
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં જોરદાર કરંટ અને ઊંચા મોજાં જોવા મળતા તંત્રે જાફરાબાદ બંદર પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર-3’ લગાવ્યું છે. દરિયાકાંઠે સતત જોખમી પરિસ્થિતિને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે.
700થી વધુ બોટો કિનારે લાંગરવામાં આવી
માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાફરાબાદ વિસ્તારમાં 700થી વધુ માછીમારી બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. તંત્રે લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે.
INCOISનું હાઈ વેવ એલર્ટ જાહેર
ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS)એ પણ હાઈ વેવ એલર્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2થી 3.5 મીટર સુધીના ઊંચા મોજાં ઉછળવાની આગાહી કરવામાં આવી છે. કચ્છના દરિયામાં પણ 3.0થી 3.1 મીટર સુધીના મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ
દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર-3 (LC-III)’ લગાવવામાં આવ્યું છે. તંત્રે સ્પષ્ટ સૂચના આપી છે કે ચેતવણીનો સમયગાળો પૂર્ણ ન થાય ત્યાં સુધી માછીમારોએ દરિયામાં ન જવું અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ પણ સાવચેતી રાખવી.