બહુચરાજી (મહેસાણા):
દશેરા પર્વે યાત્રાધામ બહુચરાજી ખાતે ભક્તિભાવ અને આસ્થાનો મહાપર્વ ઉજવાયો. જગતજનની મા બહુચરને પરંપરા મુજબ રૂ.300 કરોડના હીરા જડિત નવલખા હારથી શણગારવામાં આવ્યા. વર્ષો જૂની આ પરંપરાને નિહાળવા હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
1839થી ચાલતી પરંપરા
માતાજીનો આ અમૂલ્ય હાર ઈ.સ. 1839માં ગાયકવાડ શાસકે અર્પણ કર્યો હતો. “નવલખો હાર” તરીકે ઓળખાતો આ હીરા જડિત શણગાર માત્ર દશેરાના પવિત્ર દિવસે જ બહાર કાઢવામાં આવે છે. આખું વર્ષ આ હાર મંદિર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખાસ વહીવટદારની કસ્ટડીમાં સુરક્ષિત રાખવામાં આવે છે.
ભવ્ય પાલખી અને પોલીસ બંદોબસ્ત
આ વર્ષે પણ દશેરા પર્વે વિશેષ પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી. હજારો ભક્તોએ ઉમટી પડી માતાજીના દર્શનનો લાભ લીધો. ભક્તિભાવથી ઓતપ્રોત વાતાવરણમાં જયકારના નાદ ગુંજી ઉઠ્યા હતા
ભક્તિભાવનું અનોખું આકર્ષણ
દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ મા બહુચરના નવલખા શણગારના દર્શન કરી પોતાને ધન્ય માન્યા. મંદિર પરિસરમાં ભક્તિભાવ સાથે ભવ્ય સજાવટ કરવામાં આવી હતી. સ્થાનિકો સહિત રાજ્યભરમાંથી આવેલા ભક્તો માટે આ પ્રસંગ વિશેષ આકર્ષણનો કેન્દ્ર રહ્યો.
પરંપરા અને આસ્થા
દર વર્ષે દશેરાના દિવસે મા બહુચરના નવલખા શણગારની પરંપરા સમાજમાં આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિને જીવંત રાખે છે. આ શણગાર અને પાલખી મહોત્સવને કારણે બહુચરાજી દશેરા પર્વે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બને છે.
અહેવાલ…. પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )






