એસ.ટી.ના કર્મચારીની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાને સલામ: બેચરાજીમાં વિદાય સન્માન સમારોહ યોજાયો

SHARE:

રિપોર્ટર: રાજભા સોલંકી

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના મહેસાણા વિભાગ હેઠળ બેચરાજી ડેપોમાં એ.ટી.આઈ. તરીકે ફરજ બજાવતા ઈસ્માઈલભાઈ અલ્લારખા ડોગા 30 વર્ષની નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક સેવા પૂર્ણ કરીને તા. 30 જૂન, 2026ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. તેમની લાંબી અને સમર્પિત સેવાના સન્માનરૂપે તા. 1 જુલાઈ, 2026ના રોજ બેચરાજી ખાતે ભવ્ય વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેચરાજીના શંખલપુર રોડ સ્થિત ઉમિયા વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસ.ટી. મહેસાણા વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ એસ. ચૌધરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બેચરાજી ડેપોના મેનેજર ગુંજનભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

સમારોહમાં બેચરાજીના ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, તાલુકા મહામંત્રી લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા કિસાન મોરચાના મંત્રી ગોવિંદસિંહ સોલંકી, દેલપુરાના પૂર્વ સરપંચ વિષ્ણુભા પૃથ્વીરાજ સોલંકી, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, એસ.ટી.ના અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકોએ હાજરી આપી હતી.

વક્તાઓએ ઈસ્માઈલભાઈ ડોગાની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમના પ્રામાણિક સ્વભાવ, ફરજનિષ્ઠા અને મુસાફર સેવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમમાં પરિવારજનો, સહકર્મીઓ અને શુભેચ્છકોએ ભાવુક વાતાવરણ વચ્ચે ઈસ્માઈલભાઈને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

और देखें
error: Content is protected !!