જોટાણા:
મહેસાણા જિલ્લાની જોટાણા મામલતદાર કચેરી હાલ ભ્રષ્ટાચારનો ગઢ બની ચૂકી હોય તેવા ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના જ એક સિનિયર આગેવાને પોતાની જ સરકારના વહીવટીતંત્રની પોલ ખોલી નાખતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપના તાલુકા પંચાયત સદસ્યના પતિ અને સિનિયર નેતા દિલીપસિંહ સોલંકીએ વહીવટીતંત્ર પર ગંભીર આરોપ લગાવતા ખુલ્લેઆમ જણાવ્યું છે કે, “આ કચેરીમાં પૈસા આપો તો જ કામ થાય છે, બાકી ધક્કા ખાવા સિવાય કોઈ આરો નથી!”
લાંચ ન આપતા ભાજપ નેતાની જ જમીનની એન્ટ્રી રદ કરી, બાબુઓની દાદાગીરી!
મળતી માહિતી મુજબ, સરકારી બાબુઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે સત્તાધારી પક્ષના નેતાઓને પણ નથી ગણકારતા. દિલીપસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે લાંચની રકમ ન ચૂકવતા સરકારી બાબુઓએ પોતાની દાદાગીરી બતાવીને તેમની જમીનની કાચી એન્ટ્રી રદ કરી નાખી હતી.
કચેરીમાં ચાલી રહેલા કાળાબજારની વિગતો આપતા તેમને જણાવ્યું કે, એકત્રીકરણના નામે જૂના હુકમોને જાણીજોઈને લટકાવી રાખવામાં આવે છે. બીજી તરફ, જે નવી અરજીઓમાં અંડર ટેબલ ‘વહીવટ’ (પૈસા) થઈ જાય છે, તેને ફટાફટ મંજૂરી આપી દેવામાં આવે છે!
સર્કલ ઓફિસર પર સીધો આરોપ, મામલતદારનું ભેદી મૌન!
આ સમગ્ર કૌભાંડમાં સર્કલ ઓફિસર સહદેવભાઈ સામે સીધો આંગળી ચીંધવામાં આવી છે. આક્ષેપ છે કે સહદેવભાઈને મનધારી રકમ ન મળતા તેમણે કામ બગાડ્યું હતું. આટલું જ નહીં, આ ગંભીર બાબતે જ્યારે મામલતદારને રજૂઆત કરવામાં આવી, ત્યારે જવાબદાર અધિકારીએ કોઈ પગલાં લેવાના બદલે ‘ભેદી મૌન’ ધારણ કરી લીધું હતું, જે ક્યાંક ને ક્યાંક મોટા આશીર્વાદ હોવાની શંકા જન્માવે છે.
*મોટો સવાલ*:
જો સત્તાધારી પક્ષના સિનિયર નેતાઓ પાસે પણ સરકારી બાબુઓ આ રીતે ખુલ્લેઆમ લાંચ માંગતા હોય, તો પછી બિચારી સામાન્ય જનતાની હાલત કેવી થતી હશે? સામાન્ય નાગરિકો તો આ કચેરીમાં પીસાઈ રહ્યા છે.
*મુખ્યમંત્રી સુધી પહોંચશે ફરિયાદ*
જોટાણા તાલુકાને આ ભ્રષ્ટાચારના અડ્ડામાંથી મુક્ત કરાવવા અને બેફામ બનેલા લાંચિયા બાબુઓ પર કડક કાનૂની સકંજો કસવા માટે હવે છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ સનસનીખેજ ખુલાસા બાદ ગાંધીનગરથી કોઈ કડક પગલાં લેવાય છે કે પછી ભ્રષ્ટાચારનો આ ખેલ આમ જ ચાલતો રહેશે?







