કડી…
સ્વર્ગસ્થ કરશનભાઇ સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વચ્ચે ચાલતા જૂથવાદ પછી હવે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને માર્કેટયાર્ડના સમર્થકો વચ્ચે રાજકીય અંતર દેખાવા લાગ્યું — 22 ઓક્ટોબરના બે અલગ કાર્યક્રમો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કડી શહેરમાં જૂથવાદ ની ચર્ચા ફરી તેજ
કડી શહેરમાં હાલમાં ભાજપના આંતરિક જૂથવાદ ની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. વર્ષોથી ચાલતા જૂથવાદ ના સંકેતો હવે ફરી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
જૂથવાદ નો ઈતિહાસ
સ્વર્ગસ્થ કરશનભાઇ સોલંકી ધારાસભ્ય હતા ત્યારે તેમની અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા કડીથી ગાંધીનગર સુધી ગુંજતી હતી.
કરશનભાઇ સોલંકીનું અચાનક અવસાન થતાં ખાલી થયેલી બેઠકે જોટાણાના રાજેન્દ્ર ચાવડા જંગી લીડથી જીત્યા હતા.
હવે રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય બન્યા બાદ જૂથવાદની લહેર ફરીથી દેખાઈ રહી છે.
નવા વર્ષના સ્નેહમિલન પર રાજકીય ગરમાવો
દિવાળી બાદ કડીમાં નવા વર્ષના શુભ પ્રસંગે વિવિધ રાજકીય સ્નેહમિલન યોજાઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે આ કાર્યક્રમો ચર્ચાનો કેન્દ્ર બન્યા છે.
👉 ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા દ્વારા
તારીખ: 22 ઓક્ટોબર
સમય : 8 થી 11
સ્થળ: કડી ખાતે ધારાસભ્યની ઓફિસ
ઉપસ્થિતિ: કડી તાલુકા, શહેર, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો અને કાર્યકરો તથા જોટાણા તાલુકા ભાજપ
👉 તે જ દિવસે કડી માર્કેટયાર્ડ દ્વારા પણ
તારીખ: 22 ઓક્ટોબર,
સમય: 10 વાગે
સ્થળ: માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ
ભાજપના અન્ય જૂથના હોદ્દેદારોની ઉપસ્થિતિની ચર્ચા
કાર્યકરો દ્વિધામાં — કયા સ્નેહમિલનમાં હાજરી આપવી?
બે જુથો દ્વારા એક જ દિવસે અને એક જ સમયે સ્નેહમિલન યોજાતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હવે દ્વિધામાં મુકાયા છે કે કોના કાર્યક્રમમાં હાજરી આપવી.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે માર્કેટયાર્ડના કાર્યક્રમમાં નીતિનભાઇ પટેલના સમર્થકો હાજર રહેશે, જ્યારે ધારાસભ્યના સ્નેહમિલનમાં રાજેન્દ્ર ચાવડાના સમર્થકો ઉપસ્થિત રહેશે.
વિશ્લેષકોની ટિપ્પણી
સ્થાનિક રાજકીય વિશ્લેષકો માને છે કે —
“કડી શહેરમાં આ પ્રકારની સ્પર્ધાત્મક સ્થિતિ ભાજપની આંતરિક એકતાને અસર કરી શકે છે. આવનારી નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારના તફાવતો પક્ષ માટે પડકારરૂપ બની શકે છે.”
ચર્ચાનો વિષય
કડી શહેરમાં હાલ લોકોના મોઢે એક જ ચર્ચા છે —
“એક જ દિવસે બે સ્નેહમિલન… પરંતુ હકીકતમાં ક્યાં છે સ્નેહ અને ક્યાં છે રાજકીય રણનીતિ?”
શું કહે છે નેતાઓ…
1.ગોવિંદભાઈ પટેલ. ચેરમેન કડી APMC
એક જ દિવસે અને એક જ સમયે બે જગ્યાએ ગોઠવવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમ વિશે ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોની માર્કેટયાર્ડ ની પરંપરા મુજબ સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.કાર્યક્રમ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિભાઈ પટેલે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સાથે વાત કરી હતી પરંતુ શું વાત થઈ તે મને ખબર નથી.બંને જગ્યાએ એક જ કાર્યક્રમ હોવા છતાં જૂથવાદ હોવાનો ગોવિંદભાઈ પટેલે મનાઈ કરી હતી.
2. રાજેન્દ્ર ચાવડા. ધારાસભ્ય કડી વિધાનસભા
કાર્યક્રમ અંગે રાજેન્દ્ર ચાવડાએ ટેલિફોનીક જણાવ્યું કે બીજો કાર્યક્રમ કેમ ગોઠવવામાં આવ્યો છે તેની ખબર નથી.કોઈ જૂથવાદ ચાલતો હોવાનો ઇનકાર કરી રૂબરૂ મળી વાત કરવાની વાત કરી હતી. શું રાજેન્દ્ર ચાવડા રૂબરૂ મળી તેમની અવગણના કરવામાં આવે છે તેવી વાત કરશે કે જૂથવાદ ની વાતમાં મન મોટું રાખી ઢાંકપિછોડો કરી દેશે.
ભલે બંને નેતાઓ જૂથવાદ ની મનાઈ કરતા હોય પરંતુ ધારાસભ્ય ના સમર્થકોના મતે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા ને કાપવા માટે તેમની અવગણના માટે ધારાસભ્ય દ્વારા જે સમયે અને જે દિવસે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે જ સમયે માર્કેટયાર્ડ દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.
અહેવાલ : ધવલ ગજ્જર






