ગરીબોના હકના અનાજ પર દુકાનદારોનો તરાપ – લોકોમાં ભારે આક્રોશ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં છેતરપિંડીના બનાવો સામે આવ્યા બાદ સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે. સરકારની ગરીબ કલ્યાણ યોજનામાંથી મળતું અનાજ પૂરું મળતું નથી અને દુકાનદારો લાભાર્થીઓને ઓછું વજન આપતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સરકારી યોજનાઓ હેઠળ ગરીબોની સહાય — પરંતુ કાગળ ઉપર જ ?
પંડિત દીનદયાળ સસ્તા અનાજ યોજનાનો હેતુ ગરીબ પરિવારોને ન્યાયી દરે અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે. પરંતુ જોટાણા તાલુકાની અનેક દુકાનોમાં આ યોજના માત્ર કાગળ ઉપર જ ચાલતી હોવાનું બહાર આવ્યું છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે દુકાનદારો સરકારી નિયમ મુજબ પૂરું વજન આપતા નથી. કોઈ લાભાર્થીએ ફરિયાદ કરવાનો પ્રયાસ કરે તો તેમને “ગોડાઉનમાંથી ઓછું મળ્યું” અથવા “સરકાર પાસેથી સપ્લાય અટક્યો” જેવા બહાનાં આપી ટાળી દેવામાં આવે છે.
કાળાબજારમાં વેચાતું બચેલું અનાજ
લાભાર્થીઓના જણાવ્યા મુજબ બચેલું અનાજ કાળાબજારમાં ઉંચા ભાવમાં વેચવામાં આવે છે. કેટલાક દુકાનદારો રાજકીય પીઠબળ ધરાવતા હોવાને કારણે તેઓ સામે કાર્યવાહી થતી નથી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પુરવઠા વિભાગના કેટલાક કર્મચારીઓ પણ આ ગેરરીતિમાં સામેલ હોવાની ચર્ચા ચાલી રહી છે. લોકોનું માનવું છે કે દુકાનદારો અધિકારીઓને ભાગ આપીને તપાસથી બચી જાય છે.
જોટાણા તાલુકાની આર્થિક સ્થિતિ
જોટાણા તાલુકો મહેસાણા જિલ્લાના અંતરિયાળ અને અવિકસિત વિસ્તારોમાં નો એક ગણાય છે. અહીંના મોટાભાગના લોકો કૃષિ મજૂરી અને નાના ધંધા પર આધાર રાખે છે. આ પરિસ્થિતિમાં ગરીબ પરિવારો માટે સરકાર દ્વારા આપવામાં આવતું સસ્તું અનાજ જીવનરેખા સમાન છે.
આવી છેતરપિંડીના કિસ્સાઓ માત્ર અનાજની ચોરી નથી, પરંતુ ગરીબીની વચ્ચે જીવી રહેલા પરિવારોની આશા પર ઘા સમાન છે.
લોક માંગ..
નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી
આ મુદ્દે સ્થાનિક લોકો મામલતદાર, જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર ને સુઑમોટો લઈ તપાસ કરવાની માંગ કરી છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને દોષિત દુકાનદારોને કડક સજા મળે.
સામાજિક સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો તેઓ જિલ્લા સ્તર થી ગાંધીનગર સુધી આંદોલન ચલાવશે.
સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન
આ ઘટના એ પ્રશ્ન ઉભો કરે છે કે શું ગરીબ કલ્યાણ યોજનાઓ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચી રહી છે?સરકાર વર્ષ દરમિયાન અબજો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ તંત્રના મધ્યમ સ્તરે થતી ગેરરીતિઓને કારણે ગરીબોને પૂરતો લાભ મળતો નથી.
સામાજિક કાર્યકરોનું માનવું છે કે દરેક રાશન દુકાન પર ડિજિટલ વજનકાંટો અને CCTV ફરજિયાત કરવાથી આ પ્રકારની છેતરપિંડી રોકી શકાય.
લોકો શું કહે છે ..
“દુકાનદારોને પૂરતું કમિશન મળે છે છતાં ગરીબોને છેતરે છે, આ અતિ દુઃખદ છે. સરકારએ તાત્કાલિક તપાસ કરવી જોઈએ.”
— સ્થાનિક નાગરિક, જોટાણા તાલુકા
“બચેલું અનાજ કાળાબજારમાં જાય છે, અને તપાસ થાય ત્યારે કાગળ પર બધું બરાબર દેખાડે છે. હવે પારદર્શક વ્યવસ્થા લાવવી જ જોઈએ.”
— સામાજિક કાર્યકર
સણસણતો પ્રશ્ન…
ગરીબોના હિત માટે બનાવાયેલી યોજનાઓમાં જો આ રીતે ગેરરીતિ ચાલતી રહેશે, તો શું ખરેખર “સબકા સાથ, સબકા વિકાસ” શક્ય બનશે?
જોટાણા તાલુકાની આ ઘટના તંત્રને ચેતવણીરૂપ છે કે જો પારદર્શકતા અને જવાબદારી વધારવામાં નહીં આવે, તો આ પ્રકારની છેતરપિંડી આખી યોજના પર કલંક સમાન બનશે.






